
જો નિયત સારી હોય તો સફળતામાં સતત વધારો થતો રહે છે. ચેન્નાઈના બી. આલે. બેંગાનીએ પોતાની મહેનતથી પોતાના જીવનમાં સફળતા તો હાંસલ કરી જ પરંત સાથે પર્યાવરણને બચાવવાનો અનોખો રસ્તો પણ શોધી કાઢ્યો. પ્લાયવુડના કામદારો ઝાડમાંથી લાકડાનો ઉપયોગ કરે છે, પરંતુ બેંગાની પ્લાયવુડ બનાવવા વૃક્ષો કાપતા નથી. ત્યારે તેઓ આ કામ કેવી રીતે કરે છે તે જોઈએ....
ઘઉંના પાલામાંથી બનાવ્યુ પ્લાયવુડડાંગર અને ઘઉંના પાકની કાપણી કર્યા પછી, ખેડૂતો પાસે બાકી રહેલો પાલો બાળી નાખે છે અથવા પશુઓને ખવરાવે છે, કારણ કે તેઓને બીજો કોઈ ઉપયોગ ખબર નથી. અને પાલો બાળવાના લીધે નીકળતો ધુમાડો ઘણા રાજ્યોમાં વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને પાલો ન બાળવા અપીલ કરતી રહે છે. ઘણા લોકો હજુ પણ તેનાથી થતા નુકસાનને સમજી શક્યા નથી, પરંતુ બેંગાની જેવા પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ લોકોએ આ સમસ્યાની ગંભીરતા સમજી જ નહીં પરંતુ તેના ઉકેલ માટે એક નવો રસ્તો પણ શોધી કાઢ્યો. બેંગાનીએ એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જેમાં તે પાલામાંથી પ્લાયવુડ બનાવવાનું કામ કરે છે.
જાણો કોણ છે બી.એલ. બેંગાની
બી.એલ. બેંગાની ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપ ઈન્ડોવુડ ડિઝાઈન ટેકનોલોજીના સ્થાપક છે. 61 વર્ષીય બેંગાની તેમના પુત્ર અને પુત્રીને માર્ગદર્શન આપે છે. બેંગાણીએ શરૂ કરેલા આ સ્ટાર્ટઅપમાં પ્લાયવુડ બનાવવા માટે ડાંગર અને ઘઉંના પાલા જેવા એગ્રી-વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇકો ફ્રેન્ડલી નેચરલ ફાઇબર કમ્પોઝીટ બોર્ડનો ઉપયોગ ફર્નિચર, ઘરની સજાવટ અથવા અન્ય વસ્તુઓની બનાવવા માટે કરી શકાય છે.
ધ બેટર ઈન્ડિયાના એક વિશેષ લેખ અનુસાર, મૂળ રાજસ્થાનના બીએલ બેંગાની 1972માં તેમના પરિવાર સાથે કોલકાતા ગયા હતા. બેંગાનીના પિતા જ્યુટ મિલમાં કામ કરતા હતા. બેંગાનીએ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે તે દિવસોમાં તેમનો પરિવાર નિમ્ન મધ્યમ વર્ગના પરિવારની જેમ જીવતો હતો. પરિવારની પરિસ્થિતિને સંભાળવા માટે, બેંગાનીએ 10મા ધોરણથી કામ કરવા માટે આગળ આવવું પડ્યું. તે દિવસ દરમિયાન કામ કરી શકે અને કામને કારણે તેનો અભ્યાસ ચૂકી ન જાય, જેથી તેણે સાંજની કૉલેજમાં એડમિશન લીધું. આ રીતે તેણે અભ્યાસની સાથે સાથે કામ પણ શરૂ કર્યું હતુ. આજે કરોડોની કિંમતની કંપની અને અનોખો સ્ટાર્ટઅપ શરૂ કરનાર બેંગાની કહે છે કે તેણે ઓફિસ બોય તરીકે પોતાનું કામ શરૂ કર્યું હતું. આજના કરોડપતિને તે દિવસોમાં મહિને માત્ર 100 રૂપિયા મળતા હતા. તે પછી તેણે ઘણી જગ્યાએ કામ કર્યું. કામની સાથે સાથે તેનો અભ્યાસ પણ ચાલુ રહ્યો અને તે જ રીતે તેણે બી.કોમ કર્યું હતુ.
પહેલા કંપનીમાં કામ કર્યું, પછી કંપનીના માલિક બન્યા
B.Com પૂર્ણ કર્યા પછી, બેંગાની કોઈ સારી નોકરીની શોધમાં હતા અને આ નોકરીની શોધ તેને કોલકાતાથી ચેન્નાઈ લઈ ગઈ. વર્ષ 1987માં બેંગાનીને ચેન્નાઈની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી મળી. આ કામ પછી બેંગાનીને એક પ્લાયવુડ કંપનીમાં માર્કેટિંગનું કામ સંભાળવાની તક મળી.
મજબૂરીના લીધે બેંગાનીને એક પછી એક નોકરી કરી, પરંતુ વાસ્તવમાં તેનું મન નોકરી કરવાને બદલે પોતાનો બિઝનેસ કરવામાં હતું. કામ કરતી વખતે, બેંગાણી પોતાના કામના સ્વપ્નને ભૂલ્યા ન હતા. આ જ કારણ હતું કે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં થોડા વર્ષો કામ કરવાનો અનુભવ લીધા બાદ તેણે પોતાની કંપની ખોલવાનું નક્કી કર્યું.
આર્થિક રીતે તે એટલા સક્ષમ ન હતા, પરંતુ તેમ છતાં તે પોતાના પર વિશ્વાસ રાખીને જોખમ ઉઠાવવા તૈયાર હતા. તેણે બેટર ઈન્ડિયાને કહ્યું હતુ કે, તેને આ ઈન્ડસ્ટ્રી વિશે સારો આઈડિયા મળ્યો છે. તેને ખાતરી હતી કે જો તે સખત મહેનત કરશે તો તેને ચોક્કસ સફળતા મળશે. અંતે, બેંગાનીએ પોતાનામાં વિશ્વાસ દર્શાવ્યો અને પોતાનો વ્યવસાય શરૂ કરવાનું જોખમ લીધું.
કંપનીનું ટર્નઓવર કરોડોમાં હતું
બેંગાનીએ 1997 માં અન્ય દેશોના ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાયવુડ બોર્ડ વેચવાનું શરૂ કર્યું. તે પછી તેણે જાતે જ બોર્ડ બનાવવાનું શરૂ કર્યું. તેણે 2001માં પોતાની ફેક્ટરી સ્થાપી. બોર્ડ બનાવવા માટે તે બર્માથી કાચો માલ લાવતો હતો. 2010માં બેંગાનીની કંપની તેમના પુત્રએ ભાગીદારીમાં સંભાળી. કંપની સારી રીતે ચાલી રહી હતી, કરોડોનું ટર્નઓવર આપી રહી હતી, પરંતુ તેમ છતાં 2014માં બેંગાનીએ આ બિઝનેસ છોડી દેવાનું મન બનાવી લીધું હતું. તે કંઈક અલગ કરવા માંગતો હતો. જો કે તે ખૂબ જ જોખમી પગલું હતું, પરંતુ તેની પાછળ બેંગાનીની સારી વિચારસરણી હતી, જેના કારણે તે જોખમ ઉઠાવવામાં ડરતો ન હતો. આખરે, 2015માં બેંગાનીએ તેમની કંપની અન્ય રોકાણકારને આપી અને પોતે એક અલગ સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કર્યું.
સિદ્ધાંતો માટે જૂનો વ્યવસાય છોડી દીધો
બેંગાનીના પુત્ર વરુણ કહે છે કે, આમ કરવા પાછળનું સૌથી મોટું કારણ પર્યાવરણ પ્રત્યે પિતાની વધતી જતી સંવેદનશીલતા હતી. બેંગાની અને તેમના પુત્રો પ્લાયવુડનું કામ કરવા માંગતા હતા પરંતુ તેઓ આ માટે વૃક્ષો કાપવા માંગતા ન હતા. સાંભળવામાં અજીબ લાગે છે કે ઝાડ કાપ્યા વિના લાકડું ક્યાંથી મળશે અને લાકડા વગર પ્લાયવુડ કેવી રીતે બનાવવું, પરંતુ બેંગાની અને તેમના પુત્રએ અઢી વર્ષના સંશોધન બાદ લાકડા વગર પ્લાયવુડ બોર્ડ બનાવવાનો રસ્તો શોધી કાઢ્યો.
ઘણાં સંશોધન પછી, તેમણે કુદરતી ફાઇબર, એગ્રી-વેસ્ટ અને અન્ય કેટલાક ઉમેરણોને મિશ્રિત કરીને ઉચ્ચ ગુણવત્તાની ઇકો ફ્રેન્ડલી પ્લાયવુડ બોર્ડનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. તેનો ઉપયોગ ઘર, હોટેલ, કાફે અથવા અન્ય કોઈ જગ્યાનું ફર્નિચર બનાવવા માટે અન્ય પ્લાયવુડની જેમ પણ કરી શકાય છે. બેંગાની કહે છે કે આ પ્લાયવુડની સૌથી મોટી વાત એ છે કે તેને બનાવવા માટે કોઈ પ્રાણીને નુકસાન પહોંચાડવું પડતું નથી.તેને બનાવવાની સમગ્ર પ્રક્રિયા કુદરતી છે. બેંગાનીના કહેવા પ્રમાણે, તે અહિંસામાં વિશ્વાસ રાખે છે અને તે વાતને પોતાના કામમાં અનુસરવા માંગે છે.
આ સ્ટાર્ટઅપથી ખેડૂતોને થશે ફાયદો
બેંગાનીની પુત્રી પ્રિયંકાએ ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, તે હાલમાં ડાંગરની મિલોમાંથી આ પ્લાયવુડ બનાવવા માટે વપરાતો પાલો ખરીદી રહી છે. તેનું કારણ એ છે કે કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે ખેડૂતો પાસે જઈને તેમને મળવું અને પાલો ખરીદવું શક્ય નથી. જો કે, તેમની આગળની યોજના સીધી ખેડૂતો સુધી પહોંચવાની અને તેમની પાસેથી પાલો ખરીદવાની છે જેથી કરીને તેમને આર્થિક રીતે મદદ કરી શકાય.
હાલમાં 40 લોકોની ટીમ બેંગાની સાથે કામ કરી રહી છે. તે 2022 સુધીમાં આ ટીમને વધુ વધારવા માંગે છે. બેંગાની કહે છે કે તેમના નવા સ્ટાર્ટઅપનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં છે પરંતુ કોરોના મહામારીને કારણે તેમનો બિઝનેસ પ્રભાવિત થયો છે. બેંગાનીને અપેક્ષા છે કે જો બધું સામાન્ય રહેશે, તો 2022 સુધીમાં તેમનું ટર્નઓવર પહેલા કરતાં વધુ થશે.
gujju news channel - business news in gujarati - gujarati news - gujju news - dhandho - gujju motivation